
- 15 જાન્યુઆરી, 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર
- નર્મદા કેનાલ પાસે ફોર લેન રોડની કામગીરી
ગાંધીનગર,18 જુલાઇ (હિ.સ.) અમદાવાદના દિવસ દિવસ વધી રહેલા ટ્રાફિકને પહોંચી વળવા અને ભારે વાહનોના ભારણને હળવું કરવા માટે અમદાવાદ અને ગાંધીનગર શહેરને જોડતા સૌથી વ્યસ્ત એવા ગાંધીનગર-સરખેજ નેશનલ હાઇવે પર આવેલી નર્મદા કેનાલ પાસે હાલમાં નવા ફોર લેન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તો સાંકડો થઈ ગયો છે. આ માર્ગ પર રોજબરોજ વીવીઆઈપી મુવમેન્ટ અને નોકરી-ધંધાર્થે જતા લાખો વાહનોનો ઘસારો રહે છે, જેમાં ભારે વાહનોના કારણે પીકઅવર્સમાં કલાકો સુધી ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે. જેને લઈને ગાંધીનગર-સરખેજ હાઇવે પર 6 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે.
15 જાન્યુઆરી, 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે.
આ જામમાં એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ અટવાઈ જતાં હોવાથી લોકોના સમય અને ઇંધણનો મોટો વ્યય થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર 17 જુલાઈ થી આગામી 15 જાન્યુઆરી 2027 સુધીના આગામી છ મહિના માટે આ માર્ગ પર ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના આ આદેશ મુજબ વૈષ્ણોદેવી સર્કલથી ઘ-0 સર્કલ એટલે કે ઇન્દ્રોડા સર્કલ સુધીના ગાંધીનગર આવતા અને જતા બંને તરફના મુખ્ય રોડ પર ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. જો કે સામાન્ય જનજીવન અને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી વાહનો, ફાયર તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો, સ્કૂલ બસો અને સ્ટાફ બસોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જ્યારે ભારે વાહનો પરના આ પ્રતિબંધના કારણે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ચોક્કસ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગર તરફ તેમજ કલોલ, મહેસાણા અને રાજસ્થાન તરફ જતા ભારે વાહનોએ વૈષ્ણોદેવી સર્કલથી એસ.પી. રિંગરોડ પકડીને ઝુંડાલ સર્કલ જવું પડશે. ત્યાંથી ડાબી બાજુ વળીને અડાલજ રોડ થઈ બાલાપીર સર્કલથી કલોલ-મહેસાણા તરફ આગળ વધી શકાશે.
આ જ રીતે કલોલ, મહેસાણા કે રાજસ્થાન તરફથી આવતા ભારે વાહનો અડાલજ અને બાલાપીર સર્કલથી ઝુંડાલ સર્કલ થઈને એસ.પી. રિંગરોડનો ઉપયોગ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જઈ શકશે.બીજી તરફ ગાંધીનગરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ આવવા ઈચ્છતા ભારે વાહનો માટે ઉવારસદ બ્રિજ નીચેથી થઈને બાલાપીર સર્કલ અને ત્યાંથી ઝુંડાલ સર્કલ થઈ એસ.પી. રિંગરોડનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત તરફ જવાનો માર્ગ નક્કી કરાયો છે.
આ ઉપરાંત કન્ટેનર યાર્ડમાં જતા ભારે વાહનોને વૈષ્ણોદેવી સર્કલથી કન્ટેનર યાર્ડ સુધી સીધા પ્રવેશવાની છૂટ રહેશે, પરંતુ ત્યાંથી બહાર નીકળતી વખતે કન્ટેનર બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ આવી, એસ.પી. રિંગરોડ થઈને ઝુંડાલ અને બાલાપીર સર્કલ તરફ ડાયવર્ટ થવું પડશે.
આ નવા ટ્રાફિક પ્લાનની અમલવારી દરમિયાન રાત્રિના અંધારામાં પણ વાહનચાલકો ભટકી ન જાય તે માટે ગાંધીનગર પોલીસ અધીક્ષકને વિશેષ વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે.
જે અંતર્ગત તમામ ડાયવર્ઝન પોઇન્ટ પર ચાર બાય છ ફૂટના મોટા સાઇનબોર્ડ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લગાવવામાં આવશે. જે રાત્રે પણ સ્પષ્ટ દેખાઈ આવે તેવા રિફ્લેક્ટિવ હશે. આ સાથે જ પ્રતિબંધિત માર્ગો પર પૂરતી બેરીકેડીંગની વ્યવસ્થા કરવામાં આવશે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જાહેરહિતમાં બહાર પાડવામાં આવેલા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહનચાલક સામે કાયદેસરની કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ