



વડોદરા, 19 જુલાઈ (હિ.સ.) : વડોદરાના માણેજા અને જાંબુઆના સરકારી આવાસો આજે નરકાગાર સમાન બની ગયા હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. જર્જરિત મકાનો, છતમાંથી દેખાતા સળિયા, દીવાલોમાં તિરાડો અને ઠેરઠેર ગંદકીના કારણે લોકો ભય અને અસ્વચ્છતા વચ્ચે જીવન જીવી રહ્યા છે. અનેક પરિવારો આવાસ છોડી અન્યત્ર રહેવા મજબૂર બન્યા છે.
કલ્યાણનગર આવાસ તૂટ્યા બાદ આશરે 12 વર્ષ પહેલા 200 પરિવારોને માણેજા આવાસમાં સ્થળાંતર કરાયા હતા. આજે 350માંથી 150થી વધુ મકાનો ખાલી પડી ગયા છે. જર્જરિત ઇમારતોમાં દીવાલોની મોટી તિરાડો, છતમાંથી બહાર દેખાતા સળિયા અને વરસાદી પાણીની સમસ્યા વચ્ચે રહેવાસીઓ જીવના જોખમે રહે છે. આસપાસની ગંદકીના કારણે બાળકોમાં ચામડીના રોગ સહિત બીમારીઓનો ભય વધ્યો છે. સ્થાનિકો વુડા અને વડોદરા મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી તાત્કાલિક સમારકામ, સફાઈ અને સુરક્ષિત રહેઠાણની માંગ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ