
ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે વાવોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય કોર્પોરેટર પ્રેમલસિંહ પુંજાજી ગોલની વર્ષ ૨૦૨૫-૨૬ ની ગ્રાન્ટમાંથી નવીન એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. મેયર મીરાબેન પટેલના હસ્તે આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવેલ હતી. આ નવીન આરોગ્ય સુવિધાથી સ્થાનિક વિસ્તારના નાગરિકોને ત્વરિત અને યોગ્ય સારવાર માટે મોટી રાહત મળશે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ઉપરાંત નાયબ મ્યુનિસિપલ કમિશનર, કાઉન્સિલરઓ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સ સેવાનો લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વાવોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ એમ્બ્યુલન્સની ફાળવણી થવાથી આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સારી અને ઝડપી આરોગ્ય સુવિધા મળી રહેશે. મહાનગરપાલિકા સતત નાગરિકલક્ષી કાર્યો અને આરોગ્ય માળખાના વિસ્તરણ માટે પ્રયત્નશીલ છે. આ નવીન સુવિધાનો ઉમેરો એ ”હેલ્ધી ગાંધીનગર” ના નિર્માણના સંકલ્પમાં વધુ એક યશકલગી સમાન સાબિત થશે, અને ભવિષ્યમાં પણ આવી જ રીતે આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવા વહીવટીતંત્ર કટિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ