



પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુરના ખાડિયાસણમાં રહેતા અને જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા આતંકી મોહમદ અયુબ કડીવાલના ઘરે ગુજરાત ATSએ ફરી એકવાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આતંકીને સાથે રાખીને તેના નિવાસસ્થાન અને અગાશીની તપાસ કરવામાં આવી.
તપાસ દરમિયાન ATSએ તે સ્થળોની પણ તપાસ કરી જ્યાં મોહમ્મદ કડીવાલ બોમ્બ બનાવવા અને વિસ્ફોટક પાવડર તૈયાર કરવાની પ્રવૃત્તિ કરતો હોવાનો ખુલાસો થયો છે. તેના પિતાએ પણ મીડિયા સમક્ષ પુત્ર ઘરની અગાશીમાં વિસ્ફોટક પાવડર બનાવતો હોવાની કબૂલાત કરી હતી.
ATSએ ખાડિયાસણ મદ્રેસા નજીક ઉમરદશી નદી તેમજ કબરસ્તાન પાસેની ખુલ્લી જગ્યાએ પણ સર્ચ કર્યું, જ્યાં આતંકીઓ બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કરતા હોવાની માહિતી સામે આવી છે.
હાલ ATS સમગ્ર ષડયંત્રની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવતી હતી અને આ કાવતરામાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની તપાસ સાથે ટીમ સિદ્ધપુર બાદ સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામે પણ તપાસ માટે પહોંચી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ