
જામનગર, 20 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં આજે સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કોમ્પ્લેક્સમાં આવેલ ’હોકો આઈસ્ક્રીમ પાર્લર’ ના સંચાલક આશરે 35 વર્ષીય જયેશભાઈ માલદેભાઈ બડીયાવદરા (આહીર)એ કોમ્પ્લેક્સના સાતમા માળેથી કૂદી જતાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના ગોકુલનગરના સાંઢિયા પુલ રોડ પર આશાપુરા હોટેલ નજીક આવેલા ડિવાઇન કોમ્પ્લેક્સમાં બની હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે આ ઘટના આપઘાતની હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt