
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના દેથલી ગામે આવેલા વટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં હેલીપેડ ઇલેવન ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે 50થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય આ ગ્રુપ દર વર્ષે નિયમિત રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજે છે.
કાર્યક્રમ દરમિયાન ગ્રુપના સભ્યોએ માત્ર વૃક્ષોનું વાવેતર જ નહીં, પરંતુ તેના જતન અને ઉછેરની જવાબદારી પણ નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ જાળવવા અને હરિયાળી વધારવાના હેતુથી હાથ ધરાયેલી આ પહેલને સ્થાનિક લોકોએ પણ આવકારી હતી.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર લગધીર દેસાઈ, હરેશ ચૌધરી સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ