
મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયેલી મંદિર ચોરીના કુલ 15 ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન સોનાની નથણી, ચાંદીના છત્તરો સહિત કુલ અંદાજે 830 ગ્રામ સોના-ચાંદીના દાગીના અને ધાર્મિક સામાન, જેની કિંમત આશરે રૂ. 1.50 લાખ થાય છે, કબજે કર્યો છે.
તપાસ દરમિયાન પોલીસે મંદિર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ગરાસિયા ટોળકીને ઝડપી પાડ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મહેસાણા ઉપરાંત વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નોંધાયેલા આઠ ગુનાઓમાં પણ સંડોવાયેલા હતા અને લાંબા સમયથી ફરાર હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચી તેમને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન મંદિર ચોરીના અનેક ગુનાઓનો ભેદ ખુલ્યો હતો, જેના આધારે ચોરી થયેલો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તેમની સામે નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે. મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR