


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લાના રાધનપુરમાં વતનના વૈભવના રંગે, ચાતુર્માસ ગુરુના સંગે ભાવ સાથે આરાધનામય ચાતુર્માસનો ભવ્ય પ્રારંભ થયો હતો. ગચ્છપતિ આચાર્યવિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ, આચાર્યવિજય પીયુષભદ્રસૂરીશ્વરજી મહારાજ અને આચાર્ય વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ધર્મસભા યોજાઈ હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. સાથે જ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવના જોશી, ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત અનેક આગેવાનો અને જૈન યુવક ટીમ મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
પ્રસંગની વિશેષતા એ રહી કે સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ જૈન સાધુ-સંતોનું સન્માન કરી સર્વધર્મ સમભાવ અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો.
ચાતુર્માસના પ્રારંભ સાથે રાધનપુરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક પ્રવચનો, આરાધના, તપ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ