
ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) રાજ્યમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું તેમજ અન્ય કુદરતી પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને પાકના સંગ્રહમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સબસિડીની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંગે વધુમાં વધુ ખેડૂતોને માહિતી મળી રહે તે માટે વિભાગ દ્વારા ગામડાઓમાં માર્ગદર્શન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
તેના ભાગરૂપે ગારિયાધાર તાલુકાના રૂપાવટી અને પાલડી ગામે ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. યોગ્ય સંગ્રહ વ્યવસ્થા હોવાથી વરસાદ, ભેજ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પાકને નુકસાનથી બચાવી શકાય છે. ઉપરાંત ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ મળે ત્યાં સુધી પાક સુરક્ષિત રાખવાની સુવિધા પણ ઉપલબ્ધ બને છે, જેના કારણે આવકમાં વધારો થવાની સંભાવના રહે છે.
વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગના આ માર્ગદર્શન કાર્યક્રમને ખેડૂતો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનેક ખેડૂતોએ ગોડાઉન નિર્માણ માટે અરજી કરવાની તૈયારી દર્શાવી હતી. સરકારની આ યોજના ખેડૂતોને પાક સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA