
અમદાવાદ, 12 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદના શીલજની આનંદનિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. ગઇકાલે વિદ્યાર્થીને આપેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાના વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે. વીએચપી અને વાલીઓએ સ્કૂલમાં હોબાળો કરી વિરોધ કર્યો છે.
શીલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન સ્કૂલ વિવાદમાં સપડાઇ, અહીં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં કાચનો ટુકડો નીકળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સાથે રાખીને શાળાની કેન્ટીનમાં તપાસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.
શીલજની આનંદનિકેતન સ્કુલની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે. આનંદનિકેતન સ્કૂલ જેવી ઘટના શહેરની અન્ય શાળાઓમાં ન બને તે હેતુથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓ કે જ્યાં કેન્ટીન સેવા ઉપલબ્ધ છે. જ્યાં વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે. ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે જે પ્રકારે શીલજની આનંદનિકેતન સ્કૂલની કેન્ટીનમાં વિદ્યાર્થીને આપવામાં આવેલા ભોજનમાં કાચનો ટુકડો મળ્યાની ફરિયાદ મળી હતી.
ત્યારબાદ વાલીઓએ શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત જે વિદ્યાર્થીને ભોજનમાં કાચનો ટુકડો નીકળ્યો હતો તેને મેડિકલ તપાસ બાદ ડોક્ટર દ્વારા એ કાચનો ટુકડો માંગવામાં આવતા શાળાના સંચાલકોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળા દ્વારા વિદ્યાર્થિની મેડિકલ રિપોર્ટમાં તપાસ માટેની કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી. જેથી નારાજ થયેલા વાલીઓએ સ્કૂલમાં કોબાળો મચાવ્યો હતો.
આ ઉપરાંત શાળાના અન્ય કેટલાક બેદરકારી ભર્યા મુદ્દાઓ સામે આવ્યા હતા જેમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થના કરવામાં ન આવતી હોવાનું આ ઉપરાંત અન્ય ધર્મના પુસ્તકો ભણાવવા માટે ફરજ પાડવામાં આવતી હોવાનું તેમજ નેશનલ એન્થમ પણ શાળામાં વિદ્યાર્થીઓને કરાવવામાં ન આવતું હોવાની ફરિયાદો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ પણ શાળાએ જઈ હોબાળો કર્યો હતો. જેના પગલે આનંદ નીકેતન સ્કૂલ વિવાદમાં સપ્લાય હતી. આખરે પોલીસે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓએ વાલીઓ સાથે બેઠક કરી સમગ્ર મામલો થાળી પાડ્યો હતો.
શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આનંદ નિકેતન સ્કૂલમાં છેલ્લા એક મહિનાથી સવારની પ્રાર્થનાં કરવામાં આવતી નથી તેવી ફરિયાદ મળી હતી. સ્કૂલે અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવી તેવી પણ ફરિયાદ મળી હતી. જેથી શિક્ષણ નિરીક્ષકને તપાસ કરવા માટે સૂચના આપી છે અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે. તેમજ સ્કૂલોને અગાઉથી જ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓની ધાર્મિક લાગણી ક્યારેય દુભાય નહીં તે પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. જો કોઈ એક ડાયરેક્શન આપવામાં આવતું હોય તો તે ગેરકાયદેસર છે. જેથી હવે તપાસ અહેવાલના આધારે સમગ્ર હકીકત સામે આવશે અને કાર્યવાહી કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ