
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.)
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ-2026ની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 13 ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારી આ યાત્રાનો હેતુ નાગરિકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને એકતાની ભાવના વધુ મજબૂત કરવાનો છે.
તિરંગા યાત્રાનું પ્રસ્થાન 13 ઓગસ્ટે સાંજે 5:00 કલાકે મહેસાણા એસપી ઓફિસ ગ્રાઉન્ડ ખાતેથી થશે. યાત્રા એસપી ઓફિસ ગ્રાઉન્ડથી શરૂ થઈ બસ સ્ટેશન, ફુવારા સર્કલ, હૈદરી ચોક અને જિલ્લા પંચાયત પાસેથી પસાર થઈ ફરી એસપી ઓફિસ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે.
યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાશે. તિરંગા સાથે યોજાનારી આ યાત્રા દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈ આ રાષ્ટ્રીય ઉત્સવને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવા અપીલ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાડવા તેમજ સ્વતંત્રતા પર્વની ઉજવણીને વધુ જનભાગીદારીપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR