
જુનાગઢ 12 ઓગસ્ટ (હિ.સ.) દેશના આગામી સ્વતંત્રતા પર્વની સમગ્ર રાજ્યમાં હરખોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે,.જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ખાતે રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભાવનાને સુદ્રઢ કરવાના હેતુથી ‘સ્વતંત્રતા સપ્તાહ - ઘર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભક્તિના સૂર અને રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી આ યાત્રા મેંદરડાના આંબેડકર ચોક ખાતેથી પ્રસ્થાન થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ શહીદ ભગતસિંહ ચોક ખાતે આ ત્રિરંગા યાત્રા સમાપન થઈ હતી.
આ દેશભક્તિપૂર્ણ પ્રેરણાદાયી તિરંગા યાત્રામાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા પંચાયતના સભ્ય અસ્મિતાબેન ઠુંમર તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત વિવિધ અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તાલુકાની વિવિધ શાળાઓના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ