



- ભાજપા કિસાન મોરચાના નવ-નિયુક્ત પદાધિકારીઓની ભવ્ય અને ઉત્સાહવર્ધક બેઠક યોજાય
- વિધાનસભા ચૂંટણીમાં કિસાન મોરચાની પૂર્વ ભૂમિકા, મતદારો અને ખેડૂત વર્ગ સુધી પહોંચવા પ્રયાસ
ભરૂચ, 19 ઓગસ્ટ (હિ.સ.) : જંબુસર ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના નવ-નિયુક્ત પદાધિકારીઓની એક ભવ્ય અને ઉત્સાહવર્ધક બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠક માત્ર એક ઔપચારિક મુલાકાત ન રહેતા, આગામી વિધાનસભા ચૂંટણી અને સંગઠનની ભવિષ્યની દિશા નક્કી કરનારી એક મહત્વપૂર્ણ રણનીતિક બેઠક બની રહી હતી. બેઠકના મુખ્ય વક્તા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રભારી અજિતસિંહ રાઉલજીએ કિસાન મોરચાના કાર્યકરોમાં નવો પ્રાણ પૂર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં ખેડૂતો અને કિસાન મોરચાને ભાજપનો મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા હતા અને તમામ કાર્યકરોને એકજૂથ થઈને ભાજપ સરકારની ખેડૂતલક્ષી નીતિઓ ઘર-ઘર સુધી પહોંચાડવા માટે ખુબ જ ઉત્સાહપૂર્વક આહ્વાન કર્યું હતું.
બેઠક દરમિયાન જંબુસર તાલુકામાં કિસાન મોરચા દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનારા વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોની વિસ્તૃત રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત, આગામી વિધાનસભા ચૂંટણીમાં કિસાન મોરચાની પૂર્વભૂમિકા કેવા પ્રકારની રહેશે, મતદારો અને ખેડૂત વર્ગ સુધી પહોંચવા કયા પ્રમુખ મુદ્દાઓ ધ્યાને રાખવા તે અંગે અત્યંત ગંભીરતાપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ભાજપના પ્રદેશ, જિલ્લા અને તાલુકા સ્તરના અગ્રણી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી જેમાં અજિતસિંહ રાઉલજી પ્રભારી, ભરૂચ જિલ્લા , કુલદીપસિંહ યાદવ પ્રમુખ, જંબુસર ભાજપ, કમલેશ પટેલ કારોબારી સભ્ય, પ્રદેશ કિસાન મોરચા, રાકેશભાઈ પટેલ પ્રમુખ, ભરૂચ જિલ્લા કિસાન મોરચા, હિતેન્દ્રસિંહ રાણા મહામંત્રી, કિસાન મોરચા, મિલેન્દ્રસિંહ રાઠોડ પ્રમુખ, જંબુસર તાલુકા કિસાન મોરચા અને હરિસિંહ પ્રમુખ, જંબુસર શહેર ભાજપ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જંબુસર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કિસાન મોરચાના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ આગામી તમામ કાર્યક્રમો અને ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ લહેરાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ