




પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લામાં 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન હેઠળ રણુજ ખાતે ‘વન કવચ’નું લોકાર્પણ કરાયું હતું. મંત્રી સ્વરૂપજી ઠાકોરે તકતીનું અનાવરણ કરી વૃક્ષારોપણ કર્યું હતું અને રોપા વિતરણ રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
રણુજ ખાતે 2 હેક્ટર વિસ્તારમાં 100 પ્રજાતિના 20,000 રોપા વાવીને વન કવચ તૈયાર કરાયું છે. જ્યારે સંડેર ખાતે 2024-25 દરમિયાન 4 હેક્ટર વિસ્તારમાં 85 પ્રજાતિના 40,000 રોપા વાવીને વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે વન કવચથી શુદ્ધ ઓક્સિજન, સ્વચ્છ હવા અને સુંદર વાતાવરણ મળશે. સંડેરમાં ત્રણ વર્ષ પહેલાં કરાયેલા વૃક્ષારોપણથી આજે ઘનઘોર જંગલ જેવો માહોલ સર્જાયો છે અને પક્ષીઓ-જીવજંતુઓનો વસવાટ વધ્યો છે. રણુજમાં પણ આગામી સમયમાં આવો જ પર્યાવરણીય લાભ મળશે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના આગેવાનો તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ કલેક્ટર ડો. પ્રશાંત જીલોવા, ડીડીઓ સી.એલ. પટેલ અને નાયબ વન સંરક્ષક એન.જે. પરમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ