
ગીર સોમનાથ 20 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ-સોમનાથ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી નિર્માણાધીન ઓવરબ્રિજના કામમાં થઈ રહેલા વિલંબને લઈને સોમનાથના ધારાસભ્ય ની આગેવાની હેઠળ આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો આગામી ૩૦ દિવસમાં બન્ને ઓવરબ્રિજનું કામ યોગ્ય રીતે શરૂ કરવામાં નહીં આવે તો વેરાવળ ટાવર ચોક ખાતે ઉપવાસ આંદોલન કરનાર હોવાનું જણાવેલ છે.
વેરાવળના ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક નજીક થી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની આગેવાનીમાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ, પ્રમુખો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા. ત્યાંથી રેલી સ્વરૂપે વેરાવળ પ્રાંત કચેરી ખાતે પહોંચી ઓવરબ્રિજના અધૂરા કામ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વેરાવળ-સોમનાથ ના બન્ને ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો, વેપારીઓ, વાહન ચાલકો તેમજ આસપાસના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા પણ સતત વધી રહી છે. તેમણે સંબંધિત તંત્ર સમક્ષ બંને ઓવરબ્રિજનું કામ વહેલી તકે પુનઃ શરૂ કરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો આગામી ૩૦ દિવસમાં બંને ઓવરબ્રિજનું કામ યોગ્ય રીતે શરૂ કરવામાં નહીં આવે તો ૩૦ દિવસ બાદ વેરાવળ ટાવર ચોક ખાતે તેઓ ઉપવાસ આંદોલન પર બેસશે આ તકે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ