
ભાવનગર,21 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલ પરિચાલનની સંરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના હેતુથી 19 ઓગસ્ટ 2026ના રોજ મુખ્યાલય સંરક્ષા ઓડિટ ટીમ દ્વારા વેરાવળ-જૂનાગઢ સેક્શન તથા વેરાવળ અને જૂનાગઢ સ્ટેશનોનું ઇન્ટર ડિવિઝન સંરક્ષા ઓડિટ નિરીક્ષણ કરવામાં આવ્યું.
મુખ્યાલયની સંરક્ષા ઓડિટ ટીમમાં પ્રમુખ મુખ્ય સંરક્ષા અધિકારી (PCSO) કુશાલ સિંહ, મુખ્ય વિદ્યુત ઈજનેર/પરિચાલન (CEE/OP) દિનેશ જૈન, મુખ્ય રોલિંગ સ્ટોક ઈજનેર (માલ પરિવહન અને પરિચાલન) આનંદ પી. સોની, મુખ્ય માલભાડા પરિવહન પ્રબંધક (CFTM) નરેન્દ્રન પનવાર, ઉપ મુખ્ય સંરક્ષા અધિકારી (યાંત્રિક) શ્રી મહેશ કુમાર, ઉપ મુખ્ય સંરક્ષા અધિકારી (વિદ્યુત) નિતિશ કુમાર બોયલ, ઉપ મુખ્ય પરિચાલન પ્રબંધક (સુરક્ષા) નવેદુ દત્તા, ઉપ મુખ્ય સંરક્ષા અધિકારી (ઈજનેરી) સંજીવ જૈન સહિત સંરક્ષા ટીમના અન્ય અધિકારીઓ સામેલ રહ્યા.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ઓડિટ દરમિયાન વેરાવળ-જૂનાગઢ સેક્શનના વિવિધ સ્ટેશનો તથા મહત્વપૂર્ણ સંરક્ષા સંપત્તિઓનું વિગતવાર અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. ટીમ દ્વારા લેવલ ક્રોસિંગ ગેટ, પુલ, RRI, ART, ARME, લોબી, રનિંગ રૂમ સહિત પરિચાલન અને સંરક્ષા સાથે સંકળાયેલી વિવિધ વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન સંબંધિત વ્યવસ્થાઓની કાર્યપ્રણાલી, નિર્ધારિત સંરક્ષા ધોરણોનું પાલન તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં તત્પરતાની પણ સમીક્ષા કરવામાં આવી.
આ સંરક્ષા ઓડિટનો મુખ્ય ઉદ્દેશ રેલ પરિચાલનમાં નિર્ધારિત સંરક્ષા ધોરણો અને પ્રક્રિયાઓના અસરકારક પાલનનું મૂલ્યાંકન કરવું, સંભવિત સંરક્ષા જોખમોની ઓળખ કરવી તેમજ તેમને દૂર કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાંને વધુ અસરકારક બનાવવાનો હતો. આ પ્રકારના ઓડિટથી પરિચાલન વ્યવસ્થાની નિયમિત સમીક્ષા સાથે સંરક્ષા સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ મદદ મળે છે.
આ પ્રસંગે ભાવનગર મંડળના અપર મંડલ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા તથા વરિષ્ઠ મંડલ સંરક્ષા અધિકારી માણિક ગુપ્તા સહિત મંડળના વિવિધ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ મુખ્યાલય ઓડિટ ટીમ સાથે નિરીક્ષણમાં સક્રિયપણે ભાગ લીધો તથા સંરક્ષા સંબંધિત વિવિધ વ્યવસ્થાઓની માહિતી પૂરી પાડી.
ઓડિટ દરમિયાન સંબંધિત વિભાગોને સંરક્ષા ધોરણોનું કડકપણે પાલન સુનિશ્ચિત કરવા, ઓળખાયેલી ખામીઓનું સમયબદ્ધ નિરાકરણ કરવા તથા સંરક્ષા વ્યવસ્થામાં સતત સુધારો અને દેખરેખ જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. અધિકારીઓએ સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને રેલ પરિચાલનને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સુચારુ બનાવવા માટે સતત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ભાવનગર મંડળ દ્વારા મુસાફરો અને રેલ કર્મચારીઓની સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં સંરક્ષા ધોરણોના અસરકારક અમલીકરણ અને સતત દેખરેખ દ્વારા સુરક્ષિત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ