
રાજકોટ,21 ઓગસ્ટ (હિ.સ.) રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથેની ગેરવર્તણૂંકનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. 20 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સિનિયર તબીબ અશ્વિન રામાણીએ જુનિયર તબીબ ડોક્ટર ક્રિશા શિંગાળાને ગાળો ભાંડવામાં આવી હોવાનું તેમજ લાફો માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ મામલે પ્રદ્યુમન નગર પોલીસે ડો.અશ્વિન રામાણીની અટકાયત કરી છે.જુનિયર તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે.
બીજી તરફ, વિવાદ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાને હટાવી તેના સ્થાને નેફ્રોલોજી વિભાગના ડો. કમલ ડોડીયાની નવા સિવિલ અધિક્ષક તરીકે નિમણૂક કરી છે.
સિનિયર અધિકારીઓ દ્વારા આરોપી ડોક્ટર અશ્વિન રામાણી વિરૂદ્ધ ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ સોંપાયો છે અને તેમને હાલ ફરજ પરથી દૂર રહેવાની લેખિત સૂચના આપી છે.
સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.હર્ષદ દૂસરાએ જણાવ્યું કે, ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં રેસિડેન્ટ અને તબીબી અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જે બનાવ બન્યો છે તેના વિશે ગહન ચર્ચા કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ હાલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરવામાં આવી છે.
ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ આગળની જાણ કરવામાં આવશે.
વધુમાં ઉમેર્યું કે, જે કોઈ જરૂરી કાર્યવાહી હતી તે કરાશે અને ઉપર પણ જાણ કરાઈ છે. પીડિત પરિજનોને બનાવ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે અને અમારી તરફથી ખાતરી આપવામાં આવી છે કે, આ બાબતે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડીએ. આ ઉપરાંત, સંબંધિત તબીબને હાલ ડ્યુટી પર રાખવામાં આવ્યા નથી અને તેમને પણ આ અંગે લેખિત જાણ કરી દેવાઈ છે. હવે ગાંધીનગરથી નિર્ણય આવ્યા બાદ આગળની વિગતો જાહેર કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ