
- પંજાબ પોલીસ અને સેનાએ તપાસ શરૂ કરી, ગ્રેનેડ હુમલાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો
ચંદીગઢ, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા જટ્ટા ગામમાં ગઈ રાત્રે એક ઘર પર થયેલા ગ્રેનેડ હુમલામાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. શુક્રવારે દિવસભર પોલીસે સમગ્ર વિસ્તારને પોતાના ઘેરામાં રાખ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબ પોલીસ અને સેનાએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ, સરહદી ગામ જટ્ટામાં ગઈ રાત્રે બાઇક સવારોએ એક ઘર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. હુમલાથી થયેલા ધડાકાને કારણે ઘરના કાચ તૂટી ગયા હતા અને પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર, તે પોતાના ભાઈને રોટલી આપવા માટે ઘરે આવ્યો હતો. આ દરમિયાન બે અજાણ્યા લોકો બાઇક પર પહોંચ્યા. બંનેએ પોતાના મોં કપડાથી ઢાંકેલા હતા. હુમલાખોરોએ પહેલા એક ગ્રેનેડ ઘર તરફ ફેંક્યો, જેનાથી ઘરને નુકસાન થયું અને ગાડીના કાચ પણ તૂટી ગયા. આ પછી હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
આ દરમિયાન સેનાની ટીમ પોલીસ સાથે ત્યાં પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી. સેના અને પોલીસે ઘટનાસ્થળેથી વિસ્ફોટકના ટુકડા અને અન્ય સામાન જપ્ત કર્યો છે. પંજાબ પોલીસે આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ શિરોમણી અકાલી દળના નેતાઓએ આ મામલાને સાર્વજનિક કરી દીધો.
અકાલી નેતા જોધ સિંહ સમરાના જણાવ્યા અનુસાર, સરહદથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલા ગામમાં આ પ્રકારની ઘટના અને પોલીસનું મોડું પહોંચવું ઘણા સવાલો ઊભા કરે છે. હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભય અને દહેશતનો માહોલ છે.
એસપી ગ્રામીણ રમનદીપ સિંહે જણાવ્યું કે, પોલીસ આ મામલાના દરેક પાસાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, એફએસએલ રિપોર્ટ આવ્યા પછી ધડાકાનું કારણ સ્પષ્ટ થશે અને તપાસમાં સામે આવનારા તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ