
નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે હંમેશની જેમ સુભાષિતમ્ સ્વરૂપે પરોપકારની ભાવનાથી ભરપૂર શ્લોક પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો. તેમણે લખ્યું, ''નદીઓનો અવિરત પ્રવાહ શીખવે છે કે આપણે કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ માનવતાના ભલા માટે કરી શકીએ છીએ. નિઃસ્વાર્થ સેવા, સમર્પણ અને પરોપકારની આ જ ભાવના રાષ્ટ્રને નવી દિશા આપે છે.''
આ સુભાષિતમ્ છે, ''जीवनं स्वं परार्थाय नित्यं यच्छत मानवाः। इति सन्देशमाख्यातुं समुद्रं यान्ति निम्नगाः॥''
આમાં પ્રકૃતિના માધ્યમથી મનુષ્યને પરોપકારની શીખ આપવામાં આવી છે. કવિ કહે છે, ''સંસારની બધી નદીઓ પહાડોમાંથી નીકળીને થાક્યા વિના નિરંતર સમુદ્ર તરફ વહેતી રહે છે. નદીઓ પોતાનું પાણી પોતે પીતી નથી, પરંતુ માર્ગમાં આવતા બધા જીવોની તરસ છીપાવે છે અને ખેતરોને સિંચે છે.''
કવિની કલ્પના છે કે, નદીઓ આ નિઃસ્વાર્થ યાત્રાના માધ્યમથી માનવજાતિને મૂક સંદેશ આપી રહી છે. તેઓ મનુષ્યોને કહી રહી છે, જેમ અમે પોતાનું સર્વસ્વ બીજાઓ માટે સમર્પિત કરતા અંતમાં સમુદ્રમાં વિલીન થઈ જઈએ છીએ, તે જ રીતે તમે મનુષ્યોએ પણ પોતાના જીવનનો ઉપયોગ ફક્ત સ્વાર્થ માટે નહીં, પરંતુ બીજાના ભલા અને સેવા માટે કરવો જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ