
નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.) ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંહે, કોંગ્રેસ પર 1984ના શીખ વિરોધી રમખાણોને લઈને આકરો હુમલો કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કોંગ્રેસના નેતાઓ દ્વારા સજ્જન કુમારને કથિત રીતે આદર્શ અને અપૂરણીય નુકસાન ગણાવવા પર સવાલો ઉઠાવ્યા.
આરપી સિંહે કહ્યું કે, સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આવા વ્યક્તિનું મહિમામંડન કોંગ્રેસની 1984ની ઘટનાઓ પ્રત્યેની વિચારસરણી દર્શાવે છે. તેમણે કહ્યું કે, જ્યારે દોષિતોનું સન્માન કરવામાં આવે છે અને પીડિતોને ભૂલાવી દેવામાં આવે છે, ત્યારે તેનાથી કોંગ્રેસની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થાય છે.
ભાજપના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના તે વિવાદાસ્પદ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી થોડી ધ્રુજે છે. આરપી સિંહે કહ્યું કે, 1984માં દિલ્હીમાં માર્યા ગયેલા લગભગ 3,000 શીખો અને તેમના પરિવારો માટે આ માત્ર ધરતીનું થોડું ધ્રુજવું નહોતું, પરંતુ તેમના આખા જીવનને તબાહ કરી દેનારી કરૂણાંતિકા હતી.
આરપી સિંહે કહ્યું કે 1984ના રમખાણોમાં પોતાના દીકરા, પતિ, પિતા અને ભાઈઓને ગુમાવનારા પરિવારો તે દર્દને ક્યારેય ભૂલી શકતા નથી. તેમણે કહ્યું કે રાજકીય શ્રદ્ધાંજલિઓ દ્વારા પીડિત પરિવારોના દર્દ અને તે ઘટનાની સ્મૃતિને ભૂંસી શકાય નહીં.
ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે, 1984ની હિંસા માટે દોષિત ઠેરવવામાં આવેલા લોકોનું મહિમામંડન કરવું એ પીડિતોના જખમો પર મીઠું ભભરાવવા જેવું છે. તેમણે કહ્યું કે, શીખ સમુદાય 1984ની ઘટનાઓને ક્યારેય ભૂલશે નહીં અને કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી તે સમયગાળાને લઈને પાર્ટીની વિચારસરણી પર સવાલો ઊભા થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ