
- નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને PGS-NF સર્ટિફિકેશન અંગે માર્ગદર્શન
રાજપીપળા,21 ઓગસ્ટ (હિ.સ.) ખેતીમાં રાસાયણિક ઇનપુટનો ઉપયોગ ઘટાડીને જમીનની ફળદ્રુપતા, પર્યાવરણનું સંરક્ષણ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા હેતુથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત વિવિધ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડિયાપાડા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-નર્મદા દ્વારા સાગબારા તાલુકાના નવા મિશન ક્લસ્ટર પાંચપીપરી અને સેલંબાના ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં બંને ક્લસ્ટરના ખેડૂતો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
તાલીમ દરમિયાન KVKના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો, તેના ફાયદા તથા ખેતરમાં તેનો અસરકારક અમલ કેવી રીતે કરી શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ ગણાતા જીવામૃત અને બીજામૃત તૈયાર કરવાની પદ્ધતિનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતો જાતે આ પદ્ધતિ સમજીને પોતાના ખેતરમાં તેનો ઉપયોગ કરી શકે તે રીતે તાલીમને વ્યવહારુ અને પ્રયોગાત્મક બનાવવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનને યોગ્ય ઓળખ અને બજારલક્ષી તક મળે તે માટે PGS-NF સર્ટિફિકેશન પ્રક્રિયા અંગે પણ ખેડૂતોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
સર્ટિફિકેશન માટેની પ્રક્રિયા, જરૂરી બાબતો તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોની વિશ્વસનીયતા વધારવામાં સર્ટિફિકેશનની ભૂમિકા અંગે ખેડૂતોને સમજ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર સંદીપ રાઠવા, સર્ટિફિકેશન એજન્સીના પ્રફુલ વસાવા તેમજ KVK અને સાગબારા તાલુકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ