
સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.): સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે દેશભરમાં ફેલાયેલા અંદાજે 212.87 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી રાજદીપ રણજીતભાઈ ધાંધલ (29)ને ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સાયબર ગુનેગારો સાથે મળીને ડમી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી દેશવ્યાપી આર્થિક છેતરપિંડીના નેટવર્કને મદદરૂપ બનતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાના નામે બોગસ ફર્મો ઉભી કરીને વિવિધ બેંકોમાં કુલ સાત કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. દરેક એકાઉન્ટ બદલ કમિશન મેળવ્યા બાદ તે ચેકબુક, ડેબિટ કાર્ડ અને અન્ય બેંક કિટ્સ પોતાના સાગરીતોને સોંપતો હતો, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો. અગાઉ અમરોલી વિસ્તારમાં થયેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ, સિમકાર્ડ, QR કોડ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 154 બેંક ખાતાઓની વિગતો ચકાસતાં તેમાં 212.87 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી 410 ફરિયાદો નોંધાઈ હોવાનું અને અંદાજે 40.54 કરોડ રૂપિયાની સીધી છેતરપિંડી થઈ હોવાનું ખુલ્યું છે. પોલીસે આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે