
જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગર જિલ્લાના ખેડૂત ભાઈઓને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ/https://ikhedut.gujarat.gov.in તા. ૨૦ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ ઘટકો માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
જેમાં આંબા તથા જામફળની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી અને નાળિયેરી વાવેતર સહાય ઘટક માટે તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ ઉપરાંત, ગુજરાત હોર્ટીકલ્ચર મિશન યોજના અંતર્ગત નવી ટીસ્યુ લેબની સ્થાપના તેમજ ગુણવત્તાયુક્ત બિયારણ અને રોપણી સામગ્રીના ઉત્પાદન, પ્રોસેસિંગ અને સ્ટોરેજ ઘટક માટે તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે.
જ્યારે નેટહાઉસ તથા એગ્રો ટેક્ષટાઈલ નેટહાઉસ ઘટક માટે તા. ૨૧/૦૮/૨૦૨૬ થી તા. ૨૦/૦૯/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે. અરજી પ્રક્રિયા અંગે નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે કે, ઇચ્છુક ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નિયત દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે. ત્યારબાદ અરજીની પૂર્વ મંજૂરી મળ્યેથી સહી કરેલી પ્રિન્ટ, અસલ બિલ ફાઈલ અને જરૂરી સાધનિક પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫) ખાતે જમા કરાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt