
લખનૌ, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) બહુજન સમાજ પાર્ટી (બસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ દિલ્હીના જંતર-મંતર પર અનામતના વિરોધમાં થયેલા પ્રદર્શન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે લોકોને અનામત જેવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દા પર સસ્તી રાજનીતિ ન કરવા અને ન થવા દેવાની અપીલ કરી. આ સાથે માયાવતીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા અનામત વિરોધી માનસિકતાનો આરોપ લગાવ્યો.
માયાવતીએ રવિવારે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, દિલ્હીના જંતર-મંતર પર બંધારણમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સમાજને આપવામાં આવેલા અનામતના વિરોધમાં કેટલાક લોકોનું એકઠા થવું અને આર્થિક આધાર પર અનામત લાગુ કરવાની માંગ ઉઠાવવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે અનામતના સંબંધમાં એવું કોઈ પગલું ન ઉઠાવવું જોઈએ, જેનાથી સમતામૂલક સમાજ તથા વિકસિત અને સન્માનિત દેશ બનાવવાની બંધારણીય પ્રયાસોને નુકસાન પહોંચે.
તેમણે કહ્યું કે સદીઓથી જાતિવાદની અમાનવીયતા સહન કરી રહેલા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સમાજ માટે બંધારણમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. માયાવતીએ ડો. ભીમરાવ આંબેડકરના કથનનો ઉલ્લેખ કરતા કહ્યું કે જાતિવાદનો ત્યાગ જ સૌથી મોટી દેશભક્તિ છે. તેમણે લોકોને આ જ ભાવના સાથે દેશહિતમાં કામ કરવાની અપીલ કરી.
બસપા પ્રમુખે આર્થિક આધાર પર અનામતની માંગ પર કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબી નાબૂદી માટે દર વર્ષે ઘણી યોજનાઓ પર મોટી ધનરાશિ ખર્ચ કરે છે. જો ભ્રષ્ટાચાર અને સરકારી વ્યવસ્થાની ખામીઓના કારણે તેનો લાભ જરૂરિયાતમંદો સુધી નથી પહોંચી રહ્યો, તો આ વ્યવસ્થાની ખામી છે.
તેમણે કહ્યું કે આર્થિક આધાર પર અનામતની વ્યવસ્થા પણ દેશમાં લાગુ છે, પરંતુ તેનો યોગ્ય લાભ ગરીબ સવર્ણ પરિવારો સુધી નથી પહોંચી રહ્યો. તેમના મતે, આ વ્યવસ્થામાં વાસ્તવિક લાભ કરતાં વધુ છળકપટ દેખાય છે.
માયાવતીએ આરોપ લગાવ્યો કે ભ્રષ્ટ અને જાતિવાદી સરકારી વ્યવસ્થાએ અનામતના બંધારણીય જોગવાઈઓને યોગ્ય રીતે જમીન પર લાગુ થવા દીધી નથી. આ જ કારણ છે કે આઝાદીના લાંબા સમય પછી પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સમાજના લોકો ગરીબી, જાતીય ભેદભાવ, શોષણ અને અત્યાચારનો સામનો કરી રહ્યા છે.
તેમણે તમામ સરકારોને અનામત વિરોધી તત્વોને સંરક્ષણ ન આપવાની અપીલ કરી. આ સાથે સામાન્ય લોકોને પણ અનામત જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય પર સસ્તી રાજનીતિથી દૂર રહેવા અને આવી રાજનીતિને પ્રોત્સાહન ન આપવા વિનંતી કરી.
માયાવતીએ કહ્યું કે, તે જ દિવસે સંસદ પોલીસ સ્ટેશનની બહાર એક પીડિત વ્યક્તિના મામલામાં પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધાવવાની માંગને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ઘણા કલાકો સુધી ધરણા પર બેઠા હતા, જેના પર તેમની પાર્ટીને કોઈ વાંધો નથી. જોકે, તેમણે સવાલ ઉઠાવ્યો કે, તેની બરાબર બાજુમાં જંતર-મંતર પર દલિત અને શોષિત વર્ગોને જાતિ આધાર પર આપવામાં આવતા અનામતને સમાપ્ત કરવાની માંગને લઈને પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ રાહુલ ગાંધી કે કોંગ્રેસનો કોઈ નેતા પ્રદર્શનકારીઓને સમજાવવા પણ ન ગયો.
માયાવતીએ કહ્યું કે, આનાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના પ્રત્યે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કથિત અનામત વિરોધી માનસિકતા સ્પષ્ટ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / દીપક / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ