
ગાંધીનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ડિજિટલ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર (IDDRC)ની પ્રથમ બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માનનીય ન્યાયાધીશ અનિલ આર.દવેની IDDRCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બોર્ડે IDDRCને ઔપચારિક રીતે કાર્યરત્ અને કાર્યાત્મક સંસ્થાકીય મધ્યસ્થી અને મધ્યસ્થી સેવા પ્રદાતા જાહેર કર્યું છે. આ નિર્ણયને કેન્દ્રના સંસ્થાકીય વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
NFSUના કુલપતિ, 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસની દૂરંદેશિતાથી એક સીમાચિહ્નરૂપ પહેલ એવા આંતરરાષ્ટ્રીય ડિજિટલ વિવાદ નિવારણ કેન્દ્ર (IDDRC)ની સ્થાપના થઈ છે. જેનો મુખ્ય હેતુ આ કેન્દ્રનો હેતુ વિવાદોના ઝડપી નિરાકરણ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યાયિક પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાનો છે. IDDRCની કલ્પના ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિવાદ નિવારણમાં સુલભતા અને અસરકારકતા વધારવા માટે કરવામાં આવી છે. આ કેન્દ્રના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ક્ષમતાઓ અને બ્લોકચેન-આધારિત સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. ગુપ્તતા, ડેટા સુરક્ષા, ટ્રેસેબિલિટી અને ઓડિટબિલિટી તેના સંસ્થાકીય માળખાના મુખ્ય આધારસ્તંભ છે.
આ બેઠકમાં માનનીય ન્યાયાધીશ અનિલ આર. દવે, પૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ; ન્યાયાધીશ એમ.આર. શાહ, પૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ; ન્યાયાધીશ રાજેશ બિંદલ, પૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ; ન્યાયાધીશ સોનિયા ગોકાણી, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઇકોર્ટ; ન્યાયાધીશ પી.પી. ભટ્ટ, પૂર્વ ન્યાયાધીશ, ગુજરાત હાઇકોર્ટ; અને રતનસિંહ, સિનિયર એડવોકેટ અને સોસાયટી ઓફ કન્સ્ટ્રક્શન લો, ઇન્ડિયાના અધ્યક્ષ તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે IDDRCનું ઉદ્ઘાટન તા.27 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશ સૂર્યકાંતના મુખ્ય અતિથિપદે થયું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માનનીય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
NFSU સ્થિત આંતરરાષ્ટ્રીય ડિજિટલ વિવાદ નિવારણ કેન્દ્ર (IDDRC) ઔપચારિક રીતે કાર્યરત્ થતાં વિષય નિષ્ણાત અને વિશિષ્ટ મધ્યસ્થીઓની પેનલની રચના માટે Expression of Interest (EoI) આમંત્રિત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ