

મહેસાણા, 26 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
વિજાપુર તાલુકાના ગુંછળી ગામે આવેલું આશરે 300 વર્ષ જૂનું રામેશ્વર મહાદેવ મંદિર આજે શ્રદ્ધા, શિલ્પકળા અને આધુનિક આયોજનના સંગમરૂપે આકાર પામ્યું છે. 11 વીઘાના વિશાળ વિસ્તારમાં મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની રચના તેમજ પરિસરમાં વિકસાવવામાં આવેલા વિવિધ વન અને સુવિધાઓ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મંદિરની સૌથી વિશિષ્ટ બાબત તેની શ્રીયંત્ર આકારની રચના છે. ગર્ભગૃહ શિવલિંગના આકારમાં બનાવાયું છે, જ્યારે 51 શક્તિપીઠોના પ્રતીકરૂપે મંદિરના શિખરની ઊંચાઈ 51 ફૂટ રાખવામાં આવી છે. મંદિરના ચાર પ્રવેશદ્વારને ચાર વેદોના નામ આપવામાં આવ્યા છે.
શ્રાવણ માસમાં અહીં આશરે 15 લાખ બીલીપત્ર અર્પણ કરવાની પરંપરા છે. દર રવિવાર, સોમવાર અને અમાસે સાંજે 6:45 કલાકે ભસ્મ આરતી યોજાય છે. બ્રહ્મમુહૂર્તમાં વગાડવામાં આવતો 250 કિલોગ્રામનો વિશાળ ઇચ્છાપૂર્તિ ઘંટ પણ મંદિરનું વિશેષ આકર્ષણ છે.
મંદિર પરિસરમાં બેંગ્લુરુથી લાવવામાં આવેલા 1151 બીલીવૃક્ષોનું વન વિકસાવવામાં આવ્યું છે. 12 રાશિ અને 27 નક્ષત્રને અનુરૂપ વૃક્ષો સાથે નક્ષત્રવન તેમજ 108 દુર્લભ ઔષધિઓ ધરાવતું ધન્વંતરી વન પણ તૈયાર કરાયું છે. ઔષધિઓની માહિતી માટે QR કોડની સુવિધા પણ છે.
આરસીસી માળખા પર આશરે 1200 ડિગ્રી તાપમાને તૈયાર કરાયેલી ઈંટોથી મંદિરનું બાંધકામ કરાયું છે.
પરિસરમાં સ્વસ્તિક, ઓમ અને ઉગતા સૂર્ય સાથે ‘મહાદેવ’નું લખાણ તેમજ 150 લોકોની ક્ષમતાવાળું અન્નશ્રી ભવન પણ બનાવાયું છે. આ તમામ વિશેષતાઓ ગુંછળીના રામેશ્વર મહાદેવ ધામને આગવી ઓળખ અપાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR