
નવસારી, 27 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતમાં દારૂબંધીને લઈને સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામે ખોટા દાવા સાથે પોસ્ટ વાયરલ કરવાના મામલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 'Katha Vistar' નામના ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન આ પોસ્ટ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, ગૃહમંત્રીના ફોટા સાથે એવા નિવેદનો જોડવામાં આવ્યા હતા, જે તેમણે ક્યારેય જાહેર કર્યા નહોતા. પોસ્ટમાં દારૂના કેસમાં સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય અને સરપંચ સામે સસ્પેન્શન જેવી કાર્યવાહી અંગે મનઘડંત દાવાઓ કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી તરફથી આવા કોઈ સત્તાવાર નિવેદનો આપવામાં આવ્યા નથી. ખોટી અને ભ્રામક માહિતી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવા બદલ BNS-2023ની કલમ 336(4) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66-C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉમંગ લલિતભાઈ મોદીને સોંપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે