
મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ ઉત્સવ-2026 અંતર્ગત વડનગરમાં ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ યાત્રામાં 108 કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરતાં સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું. ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે યાત્રામાં સહભાગી થઈ કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
શ્રાવણ માસના પવિત્ર રવિવારે યોજાયેલી યાત્રાનો પ્રારંભ વડનગરના અમરથોળ વિસ્તારથી થયો હતો. યાત્રા અમથેર માતા મંદિર, ભોજક શેરી, અંબાજી માતા ચાચરે, મોચીઓળ, કાપડ બજાર, માતોર અને ચકલા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રાના માર્ગમાં નગરજનોએ કલાકારો અને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ડમરુના નાદ સાથે આગળ વધેલી યાત્રા અમતોલ દરવાજા થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં કલાકારોએ સમૂહ ડમરુ વાદન કરી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.
યાત્રાના અંતે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી તથા શ્રદ્ધાળુઓને પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR