
મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.) વડનગરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણ ઉત્સવ-2026’ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. 108 કલાકારોના સમૂહ ડમરુ નાદથી ઐતિહાસિક વડનગર શિવમય બની ગયું હતું. યાત્રામાં નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુ દેસાઈ, રાજ્ય મંત્રી પી.સી. બરંડા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ઉપસ્થિત રહી યાત્રાને પ્રોત્સાહિત કરી હતી.
યાત્રામાં વિસનગરા નાગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગાંધીનગરના નાગર બ્રાહ્મણો પણ જોડાયા હતા. ભગવાન હાટકેશ્વર મહાદેવનો રથ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે નીકળેલી યાત્રામાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
વહેલી સવારે પીઠોરીથી શરૂ થયેલી યાત્રા ચત્રેશ્વરી માતા, ભોજક શેરી, કાળા વસુદેવ ચાચરે, મહીવાડો, કાળકા માતાનો માઢ અને ચકલા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ અમતોલ દરવાજા થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં સ્થાનિક રહિશોએ યાત્રાનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
યાત્રાના અંતે મંત્રીશ્રીઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી તથા પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ મંદિર પ્રાંગણમાં મૃત્યુંજય સ્પર્ધા અંતર્ગત ઋષિકુમારોના મંત્રોચ્ચાર કાર્યક્રમમાં પણ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મિતિકા શાહ, જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR