
- દિવ્યાંગ બાળક પ્રવેશ ન મેળવે તો પણ સુવિધા ઉભી કરવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ,
અમદાવાદ,15 સપ્ટેમ્બર (હિ.સ.) દિવ્યાંગ બાળકોના શિક્ષણને લઈને રાજ્યના શાળા સંચાલક મહામંડળે શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. જે શાળામાં દિવ્યાંગ બાળક પ્રવેશ જ ન મેળવે ત્યાં પણ આવી તમામ સુવિધાઓ ફરજિયાત ઊભી કરવા માટે શાળા સંચાલકો પર દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે.દિવ્યાંગ વ્યક્તિઓ માટેના અધિકારનો કાયદો-2016ને ધ્યાને રાખી સંચાલકોનું કહેવું છે કે, સામાન્ય શાળામાં દિવ્યાંગ બાળક પ્રવેશ મેળવે ત્યારે તેની જરૂરિયાત મુજબ રેમ્પ, ખાસ ટોયલેટ, ટેકટાઇલ પાથ સહિતની સુગમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ તે કરવા તૈયાર છીએ.
જો કે જે શાળામાં દિવ્યાંગ બાળક પ્રવેશ જ ન મેળવે ત્યાં પણ આવી તમામ સુવિધાઓ ફરજિયાત ઊભી કરવા માટે શાળા સંચાલકો પર દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી વર્ષોથી ચાલી આવતી શિક્ષણ પ્રણાલી પર પુનઃ વિચારણા કરી નવા નિયમો બનાવવા માટે માંગ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ હેઠળ કન્યા શાળા, કુમાર શાળા, મિશ્રશાળા જેવી સામાન્ય પ્રકારની શાળાઓ ચાલે છે. જ્યારે વિશિષ્ટ શાળાઓ જેવી કે અંધ શાળા, અંધ અપંગ શાળા ચલાવવામાં આવે છે. જેમાં બાળકોની દિવ્યાંગતાના આધારે માતા-પિતા તેમના બાળકોને પ્રવેશ અપાવતા હોય છે. જે બાળકો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપીને Ph.D સુધીનો અભ્યાસ પણ કરતા હોય છે.
દિવ્યાંગ બાળક સ્કૂલ ન હોવા છતા તેની સુવિધા જરૂરી
પરંતુ સામાન્ય શાળામાં દિવ્યાંગ બાળક પ્રવેશ મેળવે ત્યારે શાળા મંડળે સ્કૂલ બિલ્ડીંગમાં વર્ગખંડમાં 900 મિમિથી વધુ પહોળો વર્ગખંડનો દરવાજો બનાવવાનો હોય છે. તે જ રીતે બ્લેક બોર્ડ સુધી પહોંચવાનો રસ્તો તથા વ્હીલ ચેર ફરી શકે તેવી જગ્યા રાખવાની હોય છે. દિવ્યાંગ બાળક માટે ટોયલેટની ખાસ વ્યવસ્થા બનાવવાની હોય છે.
તેમજ રેમ્પ અને ટેકટાઈલ પાથની સુવિધા કરવાની હોય છે. તેમજ દિવ્યાંગ બાળકને ભણાવવા માટેની ભાષા અલગ છે. જેથી સામાન્ય બાળકની સાથે સાથે દિવ્યાંગ બાળકને શિક્ષણ આપવું અઘરું હોવાની પણ શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવી છે.
જો કે શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા દિવ્યાંગ બાળકો માટે સુવિધા ઉભી કરવામાં આવી છે કે નહીં તે ચેકિંગ કરવામાં આવ્યું રહ્યું છે. જો સુવિધા ઉભી કરવામાં ન આવી હોય તો તેને નોટિસ આપવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મંડળે તેનો વિરોધ કર્યો છે. શાળામાં દિવ્યાંગ બાળક પ્રવેશ ન મેળવતા હોય તેમ છતાં બિન જરૂરી શાળાઓ પર દબાણ કરવામાં આવતું હોવાની શિક્ષણ સચિવને રજૂઆત કરી છે. જો દિવ્યાંગ બાળક પ્રવેશ મેળવે તો તેના માટે તમામ વ્યવસ્થા ઉભી કરવા પણ તૈયારી શાળા સંચાલકોએ તૈયારી દર્શાવી છે. પરંતુ શાળામાં વ્યવસ્થા ઊભી કરવા બિનજરૂરી દબાણ અને વર્ષોથી ચાલતી શિક્ષણ પ્રણાલીને લઈને પુનઃ વિચારણા કરવા શિક્ષણ સચિવ પાસે માંગ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ