

મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના વિજાપુરડા ગામના 70 વર્ષીય ખેડૂત ચતુરભાઈ રામભાઈ પટેલ નિવૃત્તિ બાદ છેલ્લા 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમના ખેતરમાં 350 લીંબુ, 120 ચીકુ, 100 આમળા અને 25 જેટલા આંબા સહિત 2 હજારથી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. વિવિધ બાગાયત પાકોના ઉત્પાદન અને વેચાણ થકી તેઓ વર્ષે અંદાજે ₹4 લાખની આવક મેળવી રહ્યા છે.
ચતુરભાઈ B.Comનો અભ્યાસ કર્યા બાદ કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. નિવૃત્તિ બાદ તેમણે ખેતી કરવાનો નિર્ણય લીધો અને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી. ખેતીમાં તેઓ મુખ્યત્વે ગૌમૂત્ર અને જીવામૃતનો ઉપયોગ કરે છે. તેમના જણાવ્યા મુજબ ખેતીમાં બહારથી ખરીદાતા ઇનપુટનો ખર્ચ ઓછો રહે છે અને મુખ્ય ખર્ચ મજૂરીનો થાય છે.
ચતુરભાઈને વિવિધ વૃક્ષો વાવવાનો પણ શોખ છે. ખેતરમાં નોની, વડ, પીપળા અને વાંસ સહિત અનેક પ્રકારના વૃક્ષો છે. સાથે ગીર અને કાંકરેજી ગાય સહિત પશુઓ પણ રાખવામાં આવ્યા છે.
હાલ લીંબુની સિઝન ચાલી રહી છે ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને વેપારીઓ તરફથી આશરે 500 કિલો લીંબુનો ઓર્ડર મળ્યો છે. ખેતરમાંથી લીંબુ તોડીને આ ઓર્ડર પૂર્ણ કરવામાં આવી રહ્યો છે.
નિવૃત્તિ બાદ ખેતી સાથે કુદરતની વચ્ચે રહેવાનો ચતુરભાઈનો શોખ હવે આવકનું સાધન પણ બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR