

મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના મોટી દઉં ગામમાં આવેલું ગણપતિ મંદિર આશરે 93 વર્ષ જૂનું હોવાનું સ્થાનિકો જણાવે છે. ગામની શ્રદ્ધા અને પરંપરા સાથે જોડાયેલા આ મંદિરમાં જમણી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ સ્થાપિત છે, જે મંદિરની આગવી ઓળખ છે. મંદિર પરિસરમાં ગણપતિ ભગવાન ઉપરાંત મહાદેવનું મંદિર પણ આવેલું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ મોટી દઉં ગામ અગાઉ જંગલ વિસ્તારમાં હતું ત્યારે સીતારામ મહારાજ અહીં આવ્યા હતા અને ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી. સમય જતાં ગામલોકોના સહયોગથી મંદિરનો વિકાસ કરવામાં આવ્યો. મંદિરમાં ગણપતિની બે મૂર્તિઓ હોવાનું જણાવાય છે, જેમાં એક સ્થાયી અને બીજી ચલિત મૂર્તિ છે.
ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ચલિત મૂર્તિની રથયાત્રા અને વરઘોડો કાઢવાની પરંપરા છે. મૂર્તિને ગામના વિવિધ વિસ્તારોમાં લઈ જઈ પધરામણી કરાવવામાં આવે છે અને ત્યારબાદ ફરી મંદિર ખાતે બિરાજમાન કરવામાં આવે છે. આ દિવસે અહીં મેળો પણ યોજાય છે, જેમાં આસપાસના ગામોના લોકો દર્શન માટે આવે છે.
મંદિર પરિસરમાં દર વર્ષે યજ્ઞ યોજાય છે અને અત્યાર સુધીમાં 100થી વધુ યજ્ઞ યોજાયા હોવાનું સ્થાનિકો જણાવે છે. દર માસની ચોથના દિવસે ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. મંદિર સાથે સીતારામ મહારાજ અંગેની અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR