


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકાનું જમનાપુર ગામ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, સાથે પોતાની ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાને પણ જાળવી રહ્યું છે. અંદાજે 2000ની વસ્તી ધરાવતા ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ગામના જણાવ્યા મુજબ અંદાજે 180 જેટલા યુવાનો અભ્યાસ અને રોજગાર માટે વિદેશમાં વસવાટ કરે છે, છતાં વતન સાથેનું જોડાણ યથાવત્ છે.
જમનાપુરની આગવી ઓળખ ગોગા મહારાજના મંદિર સાથે જોડાયેલી છે. સ્થાનિક માન્યતા મુજબ ઘોડા પર સવાર ગોગા મહારાજની પ્રાચીન મૂર્તિ અહીં આવેલી છે. મંદિર આગળનું કલાત્મક પ્રવેશદ્વાર અને ગામના પ્રવેશદ્વાર પાસેનું પથ્થરનું ગેટ ગામની કલા અને પરંપરાની ઝલક આપે છે. ગામમાં રામદેવપીર, ચામુંડા માતા અને રામજી મંદિર પણ આવેલા છે.
શ્રાવણ માસની નાગપાંચમે ગોગા મહારાજના મંદિરે લોકમેળો અને ગામગરબો યોજાય છે. દર પૂનમે મંદિર ખાતે સદાવ્રત યોજાતું હોવાનું ગ્રામજનો જણાવે છે.
ગામમાં આંતરિક રસ્તાઓ માટે બ્લોક અને આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે. સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવીની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સરપંચ સોમાજી ઠાકોરના જણાવ્યા મુજબ વિકાસ કામો માટે અંદાજે ₹25થી ₹30 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. જોકે ગામમાં માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને બેન્ક શાખાની જરૂરિયાત હોવાનું ગ્રામજનો જણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR