
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહેસાણા જિલ્લાના તરભ ખાતે આવેલા વાળીનાથ મંદિર પરિસરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સેવાભાવીઓ અને નાગરિકોએ એકસાથે દીપ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વાળીનાથ મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. ભજન-કીર્તન અને મંત્રોચ્ચાર વચ્ચે શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વાળીનાથના સાનિધ્યમાં દીપમાળા પ્રગટાવી તેમના પ્રત્યે આદર અને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વડાપ્રધાનને સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ મળે તેવી પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમમાં વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ ઇન્દ્રવદનભાઈ, વિસનગર APMC ચેરમેન જયંતીભાઈ પટેલ, વિસનગર પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR