
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની દુઃખદ ઘટનાઓમાં અનેક લોકોનાં મોત નિપજ્યાં છે. આવી કરુણ ઘટનાઓમાં આશાસ્પદ લોકો અકાળે જીવ ગુમાવતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડતું હોય છે. આવા સંજોગોમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સહાયનો હાથ લંબાવવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલાં હૈદરાબાદ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન છ યુવકો તળાવમાં ડૂબી જતાં તેમનાં મોત થયાં હતાં. આ દુઃખદ ઘટનામાં મૃતક યુવકોના પરિવારોને પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રત્યેક પરિવારને રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 90 હજારની સહાય અર્પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત મુંબઈના જોગેશ્વરી ખાતે રહેતા એક પરિવારને નાસિક નજીક માર્ગ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ કરુણ ઘટનાથી વ્યથિત પરિવારજનોને સહાયરૂપ થવા પૂજ્ય મોરારિબાપુ દ્વારા કુલ રૂ. 75 હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે. આ સહાય રકમ મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.
તે ઉપરાંત મહુવાના ભવાનીનગર વિસ્તારમાં રહેતા એક યુવાનનું ભાદરોડ નજીક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના પરિવારને પણ પૂજ્ય મોરારિબાપુ દ્વારા રૂ. 15 હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.
તમામ દિવંગત આત્માઓના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી. સાથે જ તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA