
જામનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શહેરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર, રણમલ તળાવ પરિસર અને ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 'આશીર્વાદનો દીવડો' શીર્ષક હેઠળ દિવ્ય અને ઉત્સાહવર્ધક આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં સાત હજારથી વધુ નગરજનો જોડાયા હતા.
આ ઉજવણી દરમિયાન 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને દર્શાવતી આકર્ષક રંગોળીઓ પૂરવામાં આવી હતી. શહેરમાં સ્થિત વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારોએ દેશભક્તિના ભાવ સાથે ભારતમાતાનું વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું. ડી.કે.વી. કોલેજ પરિસરમાં ખાસ 'ભજન જેમિંગ' કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં યુવાનો અને શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તલ્લીન બન્યા હતા. સ્થાનિક નાગરિકોએ સ્વયંભૂ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દીપ પ્રગટાવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને દેશપ્રેમમય બની ગયું હતું.
આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તેમજ બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી ગીરીશભાઈ ગણાત્રા અને પાર્થભાઈ પંડ્યા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt