રાજપીપલા/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) સરકારી સેવાઓનો લાભ પ્રજાને હાથોહાથ મળી રહે અને નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે સંવાદનો સેતુ જળવાઈ રહે તે અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના છેવાડાનો એક પણ લાભાર્થી વંચિત ન રહે તેવા ઊંડા આશય સાથે નર્મદા જિલ્લામાં દસમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમના બીજી શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગનો પ્રતિનિધિઓએ પ્રજાજનોના પ્રશ્નો અને સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેનું ત્વરાએ નિરાકરણ લાવવા માટેની સુદ્રઢ પ્રતિબદ્ધતા સાથે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. તિલકવાડા તાલુકાના સાવલી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં વાઘેલી ગામના લાભાર્થી ભાવિકા બારિયા પધાર્યા હતા. તેઓએ સરકારના પ્રજાલક્ષી સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવકનો દાખલો તિલકવાડા ખાતેથી બને છે, પરંતુ સાવલી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમની માહિતી મળતા હું સરકારી સેવાનો લાભ લેવા અહીં આવી હતી.
વધુમાં બારિયાએ જણાવ્યું કે, સ્થાનિક કર્મચારીઓ દ્વારા મારા પ્રશ્નને પ્રાથમિકતા આપીને તાત્કાલિક ધોરણે આવકનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો. જે બદલ બારિયા વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ