બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 14 એપ્રિલે ફાયરિંગ થયું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21)ને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સલમાનને ડરાવવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. એવું પણ સામે આવ્યું છે કે અનમોલ બિશ્નોઈએ ઓછામાં ઓછા બે મેગેઝીન એટલે કે 15-20 ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ માટે હુમલાખોરોને સારી ગુણવત્તાની પિસ્તોલ પણ આપવામાં આવી હતી. તેમજ આ માટે તેને 1 લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ કેસની સંપૂર્ણ જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી છે.
આ મામલામાં બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે અનમોલ બિશ્નોઈ ફરાર છે. પોલીસને શંકા છે કે હુમલાખોરોમાંથી એક સાગર પાલ લોરેન્સ ગેંગના સંપર્કમાં હતો. બીજો હુમલાખોર વિકી ગુપ્તા બાદમાં સાગર સાથે જોડાયો હતો. શું આ સમગ્ર મામલે લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી કોઈ સૂચના આપી હતી? શું તે આમાં સામેલ છે? પોલીસ તેની તપાસ કરી રહી છે.
દરમિયાન સલમાનના ઘરે ફાયરિંગ બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ મામલા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે ખાન પરિવારને મળ્યા હતા. બિશ્નોઈ ગેંગ પહેલા પણ ઘણી વખત સલમાનને મારી નાખવાની ધમકી આપી ચૂકી છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સુનીત