સુરત,01 જુલાઇ (હિ.સ.) નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ અંતર્ગત નર્સિંગ બહેનો દ્વારા સિવિલના 200થી વધુ તબીબોને શાલ ઓઢાડી, મોઢું મીઠું કરી ડોક્ટર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતુ કે, બાળકના જન્મ પૂર્વે તેમજ જન્મ બાદ આજીવન તેઓના સુખમય સ્વાસ્થ્યની તકેદારી લેતા જીવન રક્ષક-તબીબોની સેવા અને સમર્પણને બિરદાવવા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ‘સફેદ એપ્રન પહેરતા દેવદૂત સમાન તબીબો માનવજાતિ માટે આશીર્વાદ સમાન છે, જેની પ્રતીતિ સમગ્ર વિશ્વને કોરોના મહામારી દરમિયાન સુપેરે થઈ ચૂકી છે.
તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્યની ખેવના રાખવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી. તેમજ તબીબો સાથે નર્સિંગ સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ તમામ લોકોને નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવા પ્રદાન થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. દર્દી અને ડોક્ટર વચ્ચેની પરસ્પર આત્મીયતાની વાત કરતા તેમણે કહ્યુ કે, ડોકટરનું એક સ્મિત દર્દી માટે દવાથી વધારે અસરકારક સાબિત થાય છે.
વધુમાં કડીવાલાએ કોરોના મહામારી, રેલ કે પ્લેગ જેવી આફતના સમયે ખડેપગે રહી માનવજીવનને સંકટમાંથી ઉગારતા તબીબોની સેવાને બિરદાવી હતી. સાથે જ આરોગ્ય ક્ષેત્રે સિક્કાની એક તરફ ડોક્ટર તો બીજી તરફ નર્સને ગણાવી તેમણે તબીબી સેવાઓમાં નર્સની મહત્વની ભૂમિકા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, બિમારી સાથે આવનાર દર્દીઓને ડોકટરો પારિવારીક સભ્યોની જેમ હૂંફ આપી સારવાર કરી દર્દીઓને સારૂ સ્વાસ્થ્ય અર્પણ કરે છે.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.પ્રિતી કાપડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વર્મા, એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમાર, ટી.બી. ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, મેડિસીન વિભાગના ડો.કે.એન.ભટ્ટ, હાડકા વિભાગના ડો.હરિ મેમન, દાંત વિભાગના ડો ગુણવંત પરમાર રેડિયોલોજિસ્ટ ડો.પૂર્વી દેસાઇ, બાળરોગ વિભાગના બાળરોગ ડો જિગીષા પાટડીયા, ફિટલ મેડિસીનના ડો.બિનોદીની મહેન્દ્રસિંહ ચૌહાણ, માનસિક વિભાગના ડો.કમલેશ દવે, ડો.અશ્વિન વસાવા, ડો.ઋતુંભરા મહેતા સહિત તમામ વિભાગના રેસિડન્ટ ડોક્ટરોનું સન્માન કરાયુ હતું.
હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ