સુરત,06 જુલાઇ (હિ.સ.) શહેરના સચિન પાલી ગામ ખાતે આવેલા ડી.એમ.નગરમાં 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં કાટમાળ હેઠળ 15 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો ફાયર બ્રિગેડ ઉપરાંત NDRFની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી હાધ વામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના સચિન સ્થિત પાલી ગામ ખાતે આવેલા ડીએમ નગરમાં 5 માળનું બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જેના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો અને પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતુ.
બીજી આ બાબતની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ, ડેપ્યુટી મેયર ડ્રા રવિન્દ્ર પાટીલ, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોટ અને કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જ્યારે બિલ્ડિંગના ચોકીદારનું કહેવું છે કે, આ બિલ્ડિંગમાં 4-5 ફ્લેટમાં જ લોકો રહેતા હતા. જે પૈકી એક પરિવારના સભ્યો જ કાટમાળ હેઠળ દટાયા છે. જ્યારે અન્ય લોકો કામ અર્થે બહાર ગયા હતા.
આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે, બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે. અત્યાર સુધીમાં કાટમાળ હેઠળથી એક મહિલાને બહાર કાઢીને તેને 108માં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ