યુવાનો માટે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
ગાંધીનગર, 7 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યના યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદા
યુવાનો માટે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે


ગાંધીનગર, 7 સપ્ટેમ્બર (હિ.સ.) :

રાજ્યના યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થી ન હોય તેવા યુવક/ યુવતીઓ પણ ભાગ લઈ શકશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં એક દિવસની ગુજરાત આરોહણ - અવરોહણ સ્પર્ધા અંતર્ગત 14 થી 18 વર્ષના જુનિયર વિભાગના ભાઇઓ/બહેનો માટે રાજકોટના ધોરાજી ખાતે આવેલા ઓસમ પર્વત, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ચોટીલા પર્વત, સાબરકાંઠામાં ઇંડર ખાતે ઇડરીયો પર્વત તેમજ 19 થી 35 વર્ષના સિનિયર વિભાગના ભાઇઓ/બહેનો માટે પંચમહાલમાં પાવાગઢ પર્વત, વલસાડ ખાતે આવેલા પારનેરા ડુંગર ઉપર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી નવેમ્બર - 2024 માં કરવામાં આવશે. જેમાં પાંચેય સ્પર્ધાઓમાં વિભાગવાર 1 થી 10 ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકોને સીધીજ અખિલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.

આ ઉપરાંત સ્પર્ધામાં માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ તા. 31 ડિસેમ્બર 2024 ના રોજ 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તે અરજી કરી શકશે. ઈચ્છુક યુવક-યુવતીઓ પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જે જગ્યાએ ભાગ લેવા માંગતા હોય તે ત્યાં તા. 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં મોકલી આપવાનું રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવનાર સ્પર્ધકને જે-તે સ્થળ ખાતે સ્વ-ખર્ચે આવવા- જવાનું રહેશે તથા સ્પર્ધા દરમ્યાન નિવાસ અને ભોજનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જે તે સ્પર્ધાના આયોજક જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ અંગેની કોઇપણ બાબતની પુછપરછ માટે જે જિલ્લામાં સ્પર્ધાનું આયોજન થનાર છે. તે સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી નો સંપર્ક કરવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande