ગાંધીનગર,18 ઓકટોબર (હિ.સ.) નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લીધજો હતો. એસટી વિભાગના તમામ કર્મચારીઓને 10,000 'તહેવાર પેશગી એડવાન્સ' આપવાનો નિર્ણય લીધો. આજે તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી કામગીરીની સમીક્ષા શરૂ કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ઉચ્ચ અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં તેમણે નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી તહેવારની એક્સ્ટ્રા બસ સંચાલનના મોનીટરીંગ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે 7.30 વાગ્યે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લેશે.
રાજ્યમાં નાગરિકોને સમયસર પરિવહન સેવા પૂરી પાડવા માટે રાતદિવસ કાર્યરત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 36,000થી વધુ કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રીએ તહેવારમાં બોનસની રકમમાં બમણો વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ માત્ર ફિક્સ પગારધારક કર્મચારીઓને જ ₹5,000 સુધી તહેવાર બોનસ મળતું હતું. હવે નિગમના તમામ કર્મચારીઓને ₹10,000 તહેવારના બોનસ તરીકે આપવામાં આવશે. આ નિર્ણયથી હજારો પરિવારોને સીધો લાભ મળશે અને તહેવારોની ઉજવણી વધુ સુખદ રીતે ઉજવી શકશે.
નાયબ મુખ્યમંત્રી એ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસ.ટી. બસ સ્ટેશનોમાં સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ ચલાવવાનો પણ નિર્ણય કર્યો છે. 26 થી 30 ઓક્ટોબર દરમિયાન આ ખાસ ડ્રાઇવ અંતર્ગત નળના લીકેજની મરામત અને પાણીના સંરક્ષણ માટે વિશેષ કામગીરી હાથ ધરાશે. આ ઝુંબેશનો હેતુ રાજ્યની જાહેર પરિવહન વ્યવસ્થામાં સ્વચ્છતા અને પાણીના સંસાધનોના સંરક્ષણ અંગે જનજાગૃતિ વધારવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ