આગ્રા, નવી દિલ્હી,02 ઓક્ટોબર (હિ.સ.)
ઉત્તર પ્રદેશના આગ્રામાં ગુરુવારે દુર્ગા વિસર્જન દરમિયાન, ઉતંગન નદીમાં સાત
યુવાનો ડૂબી ગયા. એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ અન્ય છ
યુવાનો જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ લખાય છે ત્યારે, પોલીસ અને જિલ્લા
વહીવટીતંત્રની ટીમો ગુમ થયેલા યુવાનોને શોધવા માટે, બચાવ કામગીરી ચલાવી રહી હતી.
ખેરાગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ, રાજસ્થાન અને ઉત્તર
પ્રદેશની સરહદ પર આવેલા ડુંગરવાલ ગામ પાસે ઉતંગન નદી વહે છે. ગુરુવારે, નવરાત્રિના
છેલ્લા દિવસે, ગ્રામજનો દુર્ગા
મૂર્તિનું વિસર્જન કરવા માટે ઉતંગન નદીના કાચા ઘાટ પર પહોંચ્યા હતા. મહિલાઓ ઘાટ પર
રહી હતી, જ્યારે યુવાનો
મૂર્તિ સાથે નદીમાં પ્રવેશ્યા હતા. કેટલાક ઊંડા પાણીમાં ગયા, અને તેમાંથી સાત
યુવાનો જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા. એક યુવક, ભોલાને લોકોએ બચાવી લીધો હતો, જ્યારે અન્ય ગુમ છે.
સમાચાર મળતાં જ ડીસીપી વેસ્ટ ઝોન અતુલ શર્મા અને મ્યુનિસિપલ
કાઉન્સિલના ચેરમેન સુધીર ગર્ગ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક પોલીસ, ગોતાખોર
અને વિસ્તારના નિષ્ણાતોની મદદથી ડૂબી ગયેલા યુવાનોની શોધ કરી રહી છે.
ડીસીપીએ જણાવ્યું હતું કે,” નદીમાં ડૂબી ગયેલા યુવાનોના નામ
મહાવીર, ઓકે, ભગવતી, હરીશ, ઓમપાલ અને ગગન
છે. ટીમ ડૂબી ગયેલા યુવાનોની શોધમાં લાગી છે.”
દરમિયાન, ઘટનાની માહિતી મળ્યા બાદ, આ યુવાનોના પરિવારજનો ઘાટ પર પહોંચ્યા અને
બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે વહીવટીતંત્રને વિનંતી કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિવેક ઉપાધ્યાય / દીપક / સુનિલ
સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ