જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગર પોલીસે મુદામાલ તરીકે જપ્ત કરાયેલા 321 વાહનોની જાહેર હરાજી કરી છે. આ હરાજીથી પોલીસને જીએસટી સહિત કુલ રૂ. 12.56 લાખની આવક થઈ છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ અંતર્ગત એક સમિતિની રચના કરવામાં આવી હતી.આ સમિતિના અધ્યક્ષ સ્થાને નાયબ પોલીસ અધિક્ષક હતા, જેમાં પાંચ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓનો સમાવેશ થતો હતો.આ ઝુંબેશ હેઠળ ધ્રોલ (95), પંચકોશી એ (48), જોડિયા (50), કાલાવડ ગ્રામ્ય (17) અને કાલાવડ ટાઉન (110) પોલીસ સ્ટેશનના કુલ 321 વાહનોનો નિકાલ કરવામાં આવ્યો. આ વાહનો ચેકિંગ દરમિયાન જપ્ત કરાયેલા અથવા અલગ-અલગ ગુનાના કામે કબજે લેવાયેલા હતા.વાહનોના યોગ્ય નિકાલ માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને જે.એમ.એફ.સી. કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.કોર્ટના હરાજી કરવાના આદેશ બાદ, એમ.ટી. વિભાગ જામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા તમામ વાહનોની અપસેટ કિંમત નક્કી કરવામાં આવી હતી.આ તમામ વાહનોની જાહેર હરાજી ધ્રોલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી, જેમાં બાવન જેટલા ભંગારના વેપારીઓ હાજર રહ્યા હતા.નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ, ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એક સ્થળે બેસીને તમામ 321 વાહનોને રૂબરૂ બતાવી હરાજી કરવાનો નવતર પ્રયોગ સફળ રહ્યો. આનાથી પોલીસ સ્ટાફ અને વેપારીઓના સમય તથા પરિવહન ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ.આ સંયુક્ત હરાજી કાર્યક્રમમાં ધ્રોલના પી.આઈ. એચ.વી. રાઠોડ, પંચકોશી એના એમ.એન. શેખ, જોડિયાના આર.એસ. રાજપૂત, કાલાવડ ગ્રામ્યના પી.જી. પનારા અને કાલાવડ ટાઉનના એન.વી. આંબલીયા સહિત વેપારીઓ અને પોલીસ કર્મચારીઓએ આ નવતર પ્રયોગથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt