
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.) શહેરના નાના વરાછા વિસ્તાર ખાતે મહાવીર સર્કલ નજીક આવેલ ગેલ અંબે ઓટો ગેસ ગેરેજમાં મોડી રાત્રિના સમયે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે રિપેરિંગ માટે રાખવામાં આવેલી લાખોની કિંમતની લક્ઝરી કારો અને અન્ય વાહનો ખાક થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ગેલ અંબે મોટર્સ ગેરેજ રોહિત ઇટાલીયા, ભરત વેકરીયા અને રાજનની માલિકીનું છે. રાત્રિના સમયે અચાનક ગેરેજમાં આગ ભભૂકી ઉઠતાં, ત્યાં રાખેલી કારો અને સામાન સળગી ગયો હતો.
આ આગના કારણે મર્સિડીઝ , સ્કોડા અને ઇનોવા જેવી મોંઘીદાટ કારો સંપૂર્ણપણે બળી ગઈ હતી. ઉપરાંત બે મોપેડ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. વાહનો ઉપરાંત ગેરેજમાં રાખેલો અન્ય સામાન પણ નુકસાન પામ્યો હતો.મોંઘી કારોને થયેલા આર્થિક નુકસાનને કારણે માલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે