

પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : કલ્યાણા ગામે ધાન્ધાર સત્યાવીસ બ્રહ્મભટ્ટ (બારોટ) સમાજ પ્રગતિ મંડળ દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 11 યુગલોએ લગ્ન બંધનમાં જોડાઈ સમાજની પરંપરાને આગળ વધારી. કાર્યક્રમમાં સિદ્ધપુરના પ્રાંત અધિકારી જયકુમાર બારોટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં દાતાઓએ હાજરી આપી હતી. દાતાઓએ ઉદાર હાથે દાન આપી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી, જ્યારે પ્રગતિ મંડળે સુવ્યવસ્થિત આયોજનથી કાર્યક્રમને સફળ બનાવ્યો.
સમાજના વડીલો અને આગેવાનોએ તમામ નવદંપતીઓને સુખી દાંપત્યજીવન માટે આશીર્વાદ આપ્યા. સમાજમાં એકતા વધે અને લગ્નખર્ચમાં બચત થાય તે હેતુસર આયોજિત આ સમૂહ લગ્નોત્સવના પ્રયત્નને સૌએ હર્ષભેર બિરદાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ