
મહેસાણા, 25 ડિસેમ્બર (હિ.સ.) : મામલતદાર કચેરી જોટાણા મુકામે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલુકા સ્તરે નાગરિકોના પ્રશ્નો અને અરજીઓનું સમયસર તથા અસરકારક રીતે નિરાકરણ લાવવાનો રહ્યો હતો.
તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોને લગતા અરજદારશ્રીઓ દ્વારા કુલ ૧૪ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં જમીન, મહેસૂલ, માર્ગ, પાણી, વીજળી તેમજ અન્ય લોકહિતના મુદ્દાઓનો સમાવેશ થતો હતો. રજૂ થયેલ દરેક પ્રશ્ન અંગે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને નિયમો મુજબ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. કેટલાક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું, જ્યારે બાકીના મુદ્દાઓ માટે સમયમર્યાદામાં કાર્યવાહી કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. અરજદારઓને તેમની અરજીની હાલની સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી પણ આપવામાં આવી, જેથી તેઓને સંતોષકારક જવાબ મળી શકે.
તાલુકા સ્વાગત કાર્યક્રમથી વહીવટીતંત્ર અને જનતા વચ્ચે સીધો સંવાદ શક્ય બન્યો છે. આવા કાર્યક્રમો લોકપ્રશ્નોના ઝડપી ઉકેલ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે અને સુશાસનની દિશામાં એક અસરકારક પગલું છે. જોટાણા તાલુકામાં યોજાયેલ આ સ્વાગત કાર્યક્રમથી નાગરિકોમાં વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR