ગીર સોમનાથ 24 ફેબ્રુઆરી (હિ.સ.) વેરાવળ ચોપાટી ખાતે કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ ઉપક્રમમાં, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ચોપાટી ખાતે ઈન્ડિયન રેયોનના સહયોગથી નિર્માણ પામનાર બ્યૂટીફિકેશન, પેવરબ્લોક સહિતના કામોનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ખાતમૂહુર્ત અને ભૂમિપૂજન કર્યું હતું.
આ તકે, જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતાં લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે. અહીં નાના ધંધાર્થીઓ માટે પણ ધંધો કરવા માટેની તક વિકસીત થશે.
વેરાવળ ચોપાટી ખાતે બ્યૂટીફિકેશન સહિતના કામો કરવા માટે વેરાવળ ખાતે કાર્યરત ઈન્ડિયન રેયોન કંપનીએ જે હકારાત્મકતા દર્શાવી છે. તે બીરદાવવા લાયક છે. રાજ્યમાં કાર્યરત કંપનીઓ નાગરિક સુવિધાઓ પણ ઉભી થાય તે માટે જે પ્રકલ્પો આયોજીત કરે છે. તેના કારણે આજે રાજ્ય દેશના વિકસિત રાજ્યો પૈકીનું એક બન્યું છે.
સ્થાનિક શહેરીજનોની સુખાકારીને પ્રાધાન્ય આપી આનંદપ્રદ વાતાવરણ પૂરું પાડવામાં આવે એવો વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય છે એમ કહી કલેક્ટરશ્રીએ કંપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબલ અંતર્ગત વેરાવળ પ્રત્યે કંપની પોતાનું પ્રદાન આપી રહી છે. તે પ્રયત્નોને બીરદાવ્યાં હતાં.
ઈન્ડિયન રેયોનના યુનિટ હેડ અને પ્રેસિડન્ટ શ્રી શશાંક પરીખે જણાવ્યું હતું કે, કોઈપણ કંપનીનો ધ્યેય માત્ર નફો કરવાનું નથી હોતું પરંતુ સમાજનું કલ્યાણ થાય તેવું દાયીત્વ પણ કંપનીઓએ નિભાવવું જોઈએ. અમારી કંપની વર્ષોથી આ શહેરમાં કાર્યરત છે. ત્યારે શહેરના બ્યૂટીફિકેશનમાં વધારો થાય તે માટે અમારી કંપની મદદ માટે હંમેશા તૈયાર હોય છે. આમ કહી તેમણે વહીવટી તંત્રના સહકારથી વધુ ને વધુ વિકાસના કામોમાં સહયોગ આપવા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ ખાતમૂહુર્ત પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, ચીફ ઓફિસર પરમાર, વાઈસ પ્રેસિડન્ટ ક્રિષ્ના ગનેરીવાલ, લાઈઝનિંગ હેડ શ્રી લક્ષેસ ગૌસ્વામી, સિવિલ ઓફિસર શ્રી મુકેશ પરમાર સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ