જુનાગઢ 24 ફેબ્રુઆરી (હિ.સ.) મહાનગરપાલિકા, જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઈસમો પાસેથી અનધિકૃત ઘાસ ચારો લઇ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે. તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે.
મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નર ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નર એ.એસ.ઝાંપડા તથા ડી.જે.જાડેજા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તાર માંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.જેથી જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખતા પકડાશે તો મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની તમામ શહેરીજનોએ નોંધ લેવી.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગર પાલિકા,જુનાગઢ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે.જેમાં આજ રોજ તા:૨૩/૦૨/૨૦૨૫ ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ ખાતે આવેલ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાધે શ્યામ ગૌશાળા દ્વારા ૫૫ (પંચાવન) મણ ઘાસચારાનું દાન આપવામાં આવેલ છે.
મહાનગર પાલિકા,જુનાગઢની કાર્યવાહી શહેરીજનોના લોકહિતમાં હોય તેથી જુનાગઢ શહેરના શહેરીજનો પૈકી જે લોકો ઘાસચારા નું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર, જોશીપુરા ઝોનલ ઓફીસ(સોરઠ ભવન), ટીંબાવાડી ઝોનલ ઓફીસ,દોલતપરા ઝોનલ ઓફીસ,શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.જે રકમનો ગૌશાળા ખાતે ઘાસ ચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે.જેની શહેરીજનોને પાકી પહોંચ આપવામાં આવશે.તેમજ મહાનગરપાલિકા,જૂનાગઢની(૧.) ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા (૨)સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈને ઘાસ ચારાનું દાન કરવા માટે જણાવવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ