સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના પરવત પાટીયા વિસ્તારમાં આઈમાતા રોડ પર આવેલ સિરવી સમાજ ભવનમાં શ્રી કરણી ભક્ત મંડળનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાનના સુપ્રસિદ્ધ કલાકારોએ માતાજીનું ચિરજાગાન કરીને શ્રદ્ધાપૂર્ણ માહોલ ઉભો કર્યો હતો. જેમાં ભજનસમ્રાટ વિશાલસિંહ કવિયા, શાંતનુસિંહ, શંકરદાન અને નેહા અમરાવતે પ્રસ્તુતિ કરી હતી.
દિવસભર ચાલેલ આ કાર્યક્રમમાં ચિરજાગાન ઉપરાંત માતાજીની આરતી કરવામાં આવી હતી. તેમજ ભક્તોએ ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી કરણી ભક્ત મંડળના પ્રથમ વાર્ષિક ઉત્સવમાં નાયબ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગઢવી સહિત અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે